Translate

શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2011

હાર્ટ એટેક




હાર્ટ એટેક એટલે શું?
હાર્ટ એટેક એટલે હ્રદયના અમુક ભાગના સ્નાયુઓને લોહી ન પહોંચવાથી એ સ્નાયુઓને થતું કાયમી નુકસાન.
હ્રદયરોગના હુમલાને વહેલો આળખવો જરૂરી છે :

હાર્ટ એટેકનાં કોમ્પ્લિકેશન્સ રોગની શરૂઆતના કલાકોમાં સૌથી વધારે અને સૌથી ખતરનાક હોય છે. એટલે હાર્ટ એટેક આવ્યા પછીની દરેક મિનિટ કીમતી હોય છે એ વાત ભૂલવી ન જોઇએ. અમેરિકામાં ૭૦ ના દાયકામાં હાર્ટ એટેકના અડધાથી પણ વધારે દર્દીઓ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ મૃત્યુ પામતા હતા, પણ વ્યવસ્થિત આરોગ્ય શિક્ષણ અભિયાન પછી આ રીતે થતાં મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. દરેક માણસે, છાતીમાં દુ:ખાવો થાય કે તરત જ ડોકટરની સલાહ લેવી જોઇએ.

સામાન્ય રીતે હાર્ટ એટેકના દર્દી, લક્ષણો પરથી હાર્ટ એટેકને ઓળખવામાં તકલીફ અનુભવે છે. પોતાને થયેલો આગવો દુ:ખાવો હાર્ટ એટેકને કારણે જ થયો છે કે બીજા કોઇ કારણે એ નકકી ન કરી શકવાને કારણે ઘણાં દર્દીઓ બે-ચાર કલાક રાહ જુએ છે. કદાચ દુ:ખાવો બંધ થઇ જાય! આને કારણે જ દર્દી તબીબી સહાય મોડી મેળવી શકે છે અને પરિણામે હાર્ટ એટેકના કોઇને કોઇ કોમ્પ્લિકેશનનો ભોગ બને છે.
હાર્ટ એટેકને ઓળખવો અઘરો નથી :
હાર્ટ એટેક (તબીબી ભાષામાં માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન) નું મુખ્ય લક્ષણ છાતીમાં વચ્ચોવચ અંદરથી થતો સખત દુ:ખાવો છે. ઘણીવાર દર્દી આ દુ:ખાવા માટે જુદાં જુદાં ઉદાહરણો આપે છે. કેટલાક દર્દીને છાતીમાં મણમણનો બોજ આવી ગયો હોય એવું દુ:ખે છે. તો કેટલાકને છાતીમાં અંદરથી ભીંસાતું હોય કે કચડાતું હોય એવો અનુભવ થાય છે. હ્રદયશૂળ (એન્જાઇના પેકટોરિસ) ના દુ:ખાવાને હાર્ટ એટેકનો દુ:ખાવો એકદમ મળતો આવે છે. પણ હ્રદયશૂળ થોડીક મિનિટ માટે થાય છે, જયારે હાર્ટ એટેકનો દુ:ખાવો લાંબા સમય સુધી ચાલુ રહે છે. વળી એન્જાઇનાનો દુ:ખાવો વધુ પડતો શ્રમ કરવાથી થાય છે અને આરામ કરવાથી કે નાઇટ્રેટ    ગુપની (જીભ નીચે મૂકવાની) ગોળી લેવાથી બંધ થઇ જાય છે. જયારે હાર્ટ એટેક આરામના સમયે (ઘણીવાર વહેલી સવારે) પણ આવી શકે છે અને આરામની કે નાઇટ્રેટ ગોળીઓની કોઇ અસર થતી નથી હોતી. હકીકતમાં હાર્ટ એટેકના દર્દીઓમાંથી અડધોઅડધને એટેક આવતાં પહેલાં એન્જાઇનાનો દુ:ખાવો થઇ ચુકયો હોય છે. જો ત્રીસ મિનિટથી વધુ સમય સુધી છાતીમાં વચ્ચોવચ અંદરનો દુખાવો ચાલુ રહે તો એને એન્જાઇનાનો દુ:ખાવો માની બેસવાની ભૂલ ન કરવી જોઇએ અને તરત હાર્ટ એટેકની સારવાર માટે યોગ્ય તબીબી સલાહ લેવી જોઇએ.
છાતી ઉપરાંત બીજા ભાગોમાં પણ દુ:ખાવો થઇ શકે છે:
એન્જાઇનાની જેમ હાર્ટ એટેકનો દુ:ખાવો પણ છાતી ઉપરાંત હાથ, ગળા, ખભા, જડબા કે પેટના ઉપરના ભાગ સુધી ફેલાઇ શકે. કયારેક પેટના છેક ઉપરના ભાગમાં થતો દુ:ખાવો અપચાથી થયો હશે એમ માની લઇને દર્દી કીમતી સમય અપચાના ઘરગથ્થુ ઉપચાર પાછળ બગાડી નાખે છે.
દુ:ખાવા સિવાયનાં અન્ય લક્ષણો:
દુ:ખાવાની સાથોસાથ મોટાભાગના દર્દીઓમાં સખત પરસેવો વળી ગયેલો જોવા મળે છે. આને કારણે દર્દીને ચામડી એકદમ ઠંડી પડી ગયેલી લાગે છે. આ ઉપરાંત ઘણા દર્દી શ્વાસ લેવામાં તકલીફ પડવાની, કમજોરી લાગવાની, જીવ ગભરાવાની, ઊલટી થવાની કે ચકકર આવવાની ફરિયાદ પણ કરતા હોય છે. તીવ્ર વેદનાને કારણે તથા ઘણીવાર છાતીમાં વિચિત્ર અનુભવને કારણે દર્દી એકદમ ચિંતાતુર થઇ જાય છે અને ઘણાને પોતે મરી જશે તેવું લાગવા માંડે છે. ઘણા દર્દીઓ માટે એટેકને બદલે હવે પોતાનું શું થશે એવી ચિંતા વધુ નુકસાનકારક સાબિત થાય છે.
છૂપો એટેક:
કેટલીકવાર ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓમાં હાર્ટ એટેક વખતે જરા પણ દુ:ખાવો થતો નથી અને આવે વખતે વધુ પડતો શ્વાસ ચડવાથી, ચકકર આવવાથી કે ગભરામણ થવાથી દર્દી હોસ્પિટલમાં આવે છે અને ત્યાંની તપાસમાં એટેકનું નિદાન થાય છે. જો કે માત્ર ૧૫ થી ૨૦ ટકા કિસ્સામાં જ દુ:ખાવા વગર હાર્ટ એટેક આવે છે. (જે છૂપા એટેક તરીકે ઓળખાય છે.)
હાર્ટ એટેકનો મનપસંદ વાર
હાર્ટ એટેકનો મનપસંદ વાર છે સોમ અને સમય છે સવારના નવ. જી હા! સોમવારે સવારે નવ વાગ્યાની આસપાસ હ્રદયરોગનાં દર્દીઓને હાર્ટ એટેક આવવાની સૌથી વધારે શકયતા રહે છે. હાર્ટ એટેક પર થઇ રહેલ આંતરરાષ્ટ્રીય સંશોધનનું આ તારણ છે. કોઇપણ દિવસે સવારે પાંચથી બાર-એક વાગ્યા સુધીમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ દિવસના અન્ય કોઇ સમય કરતાં ઘણું વધારે હોય છે. આપણા શરીરના અંત:સ્ા્રાવોનું પ્રમાણ દિવસના સમય પ્રમાણે બદલાતુ રહે છે. વહેલી સવારે શરીરમાં સ્ટીરોઇડ અને એડ્રીનાલીન જૂથના અંત:સ્ા્રાવોનું પ્રમાણ દિવસના અન્ય સમય કરતાં વધારે હોય છે. આ ઉપરાંત લોહીના ત્રાકકણોની ગંઠાઇ જવાની વૃતિ પણ સવારે મહત્તમ હોય છે. આ બે કારણે હ્રદયને લોહી પહોંચાડતી કોરોનરી ધમની (રકતવાહિની) સંકોચાય છે અને તેના સાંકડા ભાગ પર ત્રાકકણોનો ગઠ્ઠો જામી જાય છે. પરિણામે હ્રદયને લોહી પહોંચતુ અટકી જાય અથવા ઘટી જાય છે અને હાર્ટ એટેક આવે છે. આ ઉપરાંત, માણસનો માનસિક અને શારીરિક તણાવ ઘણીવાર સવારના પહોરમાં કામ પર પહોંચવાની દોડધામમાં કે કામની ચિંતામાં વધુ હોય છે. રવિવારની રજા પછી જયારે માણસ સોમવારે કામ પર જવાની તૈયારી / વિચાર કરતો હોય ત્યારે અન્ય દિવસો કરતાં માનસિક-શારીરિક તણાવ વધુ હોય છે - એટલે જ સોમવારની સવારે અઠવાડિયાના સૌથી વધુ એેટેકના કિસ્સા બનતા હોય છે.
આમ, હાર્ટ એટેકની શરૂઆત કરવામાં માનસિક-શારીરિક તણાવ (સ્ટ્રેસ) મહત્વનો ફાળો આપે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો